Saturday, July 18, 2020

" હું હજી જીવતો છું ! "

દરેડ નામનું નાનકડું ગામ. આ ગામ માં દર વર્ષે મેળો આવે, મેળો તો આવે પણ રામ નારાયણ ના ઘરમાં કંકાશ લાવે ! એની કંકાસ નું એક જ કારણ એનો એક નો એક દીકરો અજયકુમાર. જેવો મેળો આવે એટલે અજયકુમાર ની જીદ ચાલુ થાય મારે "બંદૂક" લેવી છે ! દર વર્ષે બંદૂક લઈને ઘરમાં એટલી બંદૂકો ભેગી થઈ ગયેલી કે જાણે કોઈ રાઈફલ શૂટિંગ નું કોચિંગ સેન્ટર ચાલતું હોય !

દર વર્ષે રામ નારાયણ દીકરાને સમજાવે કે બેટા આટલી બંદૂકો તો ભેગી કરી ! કબાટ ખોલીએ તો બંદૂક નીકળે, માળિયું સાફ કરી તો બંદૂક નીકળે, પલંગ નીચે કચરો વાળી તો બંદૂક નીકળે ! ટુંકમાં વસ્તુ રાખી શકાય એવી બધી જગ્યાએથી બંદૂક નીકળે નીકળે અને નીકળે જ ! નાનું એવું ઘર અને એમાં માણસો કરતાં બંદૂક વધારે !

રામ નારાયણ પોતે બાપ દાદાનું બનાવેલું મંદિર સાચવતા ! મંદિર ની કોઈ ખાસ આવક નહોતી, પણ ત્રણ જણનું ગુજરાન ચાલે એટલું ભક્તો તરફથી મળી જતું ! ઘણા ભક્તો મહિને રાશન પૂરું પાડતા, તો કોઈક વળી એના દીકરાની ફી ભરી આપતું, તો કોઈ વળી એને લાઈટ બીલ ભરી આપતું ! આમ ઉપરવાળાની દયાથી બધું ચાલતું !

મંદિર માં ખાસ કોઈ રોકડ આવક તો થતી નથી ! પણ શ્રાવણ મહિનો આવે એટલે ભક્તોનું ઘોડાપૂર આવે ! આ એક મહિનો રામ નારાયણ માટે થકાવી નાખે એવો ! આ એક મહિનો એમની પત્ની નિર્મલા માટે પણ કામ થી ભરપુર !

અજયકુમાર ને બાળપણ થી જ બંદૂક સાથે પ્રિય લગાવ. ટીવી માં પણ પોલીસ અને આર્મી ની કોઈ સિરિયલ આવતી હોઈ તો જોવાનું ચૂકે નહિ ! એના લખવાના ચોપડા ખોલો તો પણ એમાં બંદૂક દોરેલી જોવા મળે ! ઘર માં જ્યાં પણ કોરી દીવાલ દેખાય એ દીવાલ પર "જય હિન્દ" , "વંદે માતરમ્" , "ભારત માતા કી જય" આવા દેશભક્તિ ના નારાઓ લખેલા જોવા મળે !

ઘણી વખત નવરાશ ના સમય માં રામ નારાયણ વિચારતા કે એક નો એક દીકરો છે, અને આ મંદિર માં રસ લેવાને બદલે બંદૂક માં રસ લે છે ! શું કરવું આનું ??? એની આ ચિંતા એમની પત્ની નિર્મલા પણ જાણતી હતી, પણ એ એક જ જવાબ આપે, હજી નાનો છે અજય. શું કામ અત્યારથી એને મંદિર ના કામ માં રસ લેતો કરવો ??? એ મોટો થશે એટલે આપમેળે સમજી જશે !

આમ ને આમ વર્ષો વીતતા ચાલ્યા ગયા. ૧૨ પાસ કરીને અજય કુમાર એ સરકારી વિનયન કોલેજ માં એડમીશન પણ લઇ લીધું ! હવે બંદૂક નું સ્થાન બુક્સ એ લઈ લીધું હતું ! કોલેજ ની સાથે સાથે અજયકુમાર ભવિષ્યમાં સરકારી નોકરી કરવાના લક્ષ્ય સાથે આગળ વધતા જતા હતા.

એક દિવસ અખબાર માં જાહેરાત વાંચી, "આર્મી નો ભરતી મેળો ધો. ૧૨ પાસ યુવાનો માટે" ! બાળપણ થી જેની નસે નસ માં રાષ્ટ્રભક્તિ દોડતી હોઈ એ તો આવા સુવર્ણ અવસર ની રાહ જ જોતા હોઈ ! ઘરમાં માતા પિતાને જણાવ્યા વગર જ અજય કુમાર નીકળી પડ્યા ભરતી ની પ્રક્રિયા માં ભાગ લેવા !

ભરતી ની બધી પ્રક્રિયામાં પાસ થઈ ને ઘરે આવીને જમતી વખતે કીધું, પપ્પા ! હું તમને એક વાત કહેવા ઈચ્છું છું ! મહેરબાની કરીને ગુસ્સો ન કરતા !

પિતા રામ નારાયણ ભવિષ્ય નું એંધાણ પારખી ગયા હતા એટલે બહુ ઠંડા દિલથી કીધું, બોલ ! શું કહેવું છે ??
પપ્પા હું આર્મી માં જવા માંગુ છું ! તમે મંજૂરી આપશો ને ???

રામ નારાયણે કીધું, બેટા ! તે નક્કી કરી જ લીધું છે દેશ સેવા કરવાનું તો અમે તને રોકવા વાળા કોણ ??? માતા નિર્મલા એ પણ દુઃખી સ્વરે કીધું ક્યારે જવાનું છે દીકરા ??? અજય કુમારે કીધું ! બસ ત્રણ દિવસ પછી દહરે દુન ખાતે ૬ મહિના ટ્રેનિંગ અને પછી પહેલું પોસ્તિંગ મળશે !

તાલીમ માં અજયકુમાર ની નિશાને બાજી માં કુશળતા જોઈને એમને "સોલ્જર" તરીકે પસંદ કરવામાં આવ્યા ! અને પહેલું પોસ્ટીંગ મળ્યું જમ્મુ કાશ્મીરના કુપ વાડા સેકટર માં ! આ ક્ષેત્ર આંતકવાદીઓની મજબૂત પકડ વાળું હતું !

દર સપ્તાહ માં બે થી ત્રણ જવાનો અહી શહીદ થતા ! અત્યાર સુધી ક્યારેય છાપુ ન વાંચતા રામ નારાયણ હવે દીકરા ની માહિતી જાણવા રોજ અખબાર વાંચતા !

ઘરે રોજ ફોન કરવામાં તકલીફ પડતી એટલે અજય કુમારે પોતાના પહેલા જ પગાર માથી સારી એવી કંપની નો ફોન લઈને ઘરે મોકલ્યો હતો ! રામ નારાયણ અને નિર્મલા બહેન ને ફોન માં કશી ગતાગમ ન પડે એટલે આજુ બાજુ માં રહેતા પાડોશીને બોલાવીને અજય કુમાર ને ફોન લગાવે અને પોતાની વાત ચીત કરે !

એક દિવસ કુપવાડા સેકટર ૪ ની છાવણી પર આંતકવાદીઓએ ઓચિંતો હુમલો કરી દીધો ! જેમાં ૧ મેજર અને ૭ જવાનો ઘાયલ થયાં હતાં ! ૩ જવાનો શહીદ થયા હતા ! આ ઘટના ના તાજાં સમાચાર ટીવી પર આવતા હતા એટલે પાડોશીઓએ રામ નારાયણ અને નિર્મલા બહેન ને બોલાવીને સમાચાર બતાવ્યા ! સમાચાર જોઈને નિર્મલા બહેન હતપ્રભ થઈ ગયા ! ત્યાં જ ટીવી પર જે ૩ જવાનો શહીદ થયા એમના નામ આવ્યા જેમાં એક નામ હતું "ત્રિપાઠી અજયકુમાર રામ નારાયણ" જેવું આ વાચ્યું એટલે નિર્મલા બહેન બેહોશ થઇને ઢળી પડ્યા !

સૈનિક હોસ્પિટલ માં પણ ટીવી ચાલુ જ હતું અજય કુમાર પણ સમાચાર જોઈ રહ્યા હતા. એમને આ ખોખલી ન્યુઝ ચેનલ જોઈને હસવું આવ્યું, કેમ કે ન્યુઝ વાળાઓ પૂરતી માહિતી વગર જ ટી.આર.પી વધારવા કોઈ પણ પ્રકારની સચોટ માહિતી વગર સમાચાર બતાવતા હોઈ છે !

આ ઘટનાની ઘરે કેવી અસર પડી હશે એનો તાગ મેળવીને અજય કુમારે તરજ જ ઘરે ફોન કર્યો, તરત જ રામ નારાયણ એ ફોન ઉપાડ્યો એટલે અજય કુમારે કીધું, પપ્પા મમ્મીને કહેજો, " હું હજી જીવતો છું ! "

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...