Wednesday, July 15, 2020

પ્રશ્ન ખૂબ સુંદર પૂછ્યો છે કે કોઈ નિરાશ વ્યક્તિને આત્મહત્યાના વિચારોથી દૂર કરવા શું કરવું જોઈએ??? ( પ્રતિલિપિ )

જવાબ: અત્યારે 4G અને 5G નો સમય ચાલી રહ્યો છે ! માણસ પાસે ધીરજનું તત્વ ખૂટી ગયું છે. એક એ સમય હતો જ્યારે બધા મિત્રો રાત્રે ૯ કે ૧૦ વાગ્યે સોસાયટીમાં કે રાત્રે પાનની અથવા ચા ની લારી પર બેસીને ટોળટપ્પા કરતા હતા. જો કોઈ મિત્ર એક દિવસ ન દેખાય તો તરત એ વ્યક્તિને ફોન કરીને એનાં કુશળ શેમ પૂછવામાં આવતા હતા, અથવા મિત્રો એમના ઘરે જાઇને તપાસ કરતા હતા કે બધું ઠીક તો છે ને, પણ આ વ્યવસ્થા હવે ભૂતકાળ બની ચૂકી છે ! અત્યારે કોઈ મિત્રો રાત્રે ભેગા નથી થતા. કારણ શું ? ચર્ચા કરવા માટે હવે રૂબરૂ મુલાકાત ની જરૂર નથી, આ કામ હવે ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમોની મદદથી ઘર બેઠા પતાવી શકાય છે. મિત્રોને મળીને જે હૂંફ અને પ્રેમ મળે, એવો સાચો પ્રેમ આ તકલાદી સોશ્યલ મીડિયામાં મળતો નથી ! આ વાત જેટલી જલદી સમજી શકાય એમ સમજવાની જરૂર છે ! રાત્રે જે મિત્રો ભેગા થાય છે એમાં કોઈ મિત્રનું મૂડ ઓફ હોઈ કે પછી એ નિરાશ દેખાય તો તરત જ એના મિત્રો એની સમસ્યા નું સમાધાન કરવા માટે હાજર જ રહેતા. પણ હવે મિત્રોને ભેગા મળવાની સિસ્ટમ જ નાબૂદ થઇ ગઈ છે, પરિણામે મનનો ઊભાર કોની પાસે ઠાલવવા જવું ? મિત્રો હતા તો એમના ખભે માથું રાખીને રડી પણ શકાતું. પણ હવે કોના ખભા નો સહારો લેવો ???

કોઈ પણ માણસ આત્મહત્યા અચાનક નથી કરી લેતો, આત્મહત્યા કરવા પાછળ એ ઘણા બધા દિવસોથી વિચાર કરતો હોઈ છે. ઘણા બધા દિવસોથી એક નો એક વિચાર કર્યા રાખવાથી પછી એક દિવસ એવો પણ આવે છે જ્યારે એ વિચાર ને વાસ્તવિક સ્વરૂપ મળે છે. એવું કહેવાય છે કે આત્મહત્યા કરવાની ૧૦ મિનિટ પહેલા નો સમયગાળો આત્મહત્યા કરનાર વ્યક્તિનો ખૂબ જ ઝંઝાવાત ભર્યો હોય છે ! આ ૧૦ મિનિટ માં કોઈ એવી વ્યક્તિ એની સાથે વાર્તાલાપ કરે કે જે એને માનસિક રીતે મજબૂત બનાવે તો ૭૦% કેસોમાં વ્યક્તિને આત્મહત્યાના માર્ગે પરથી પાછો વાળી શકાય છે !

પણ અત્યારે જે પ્રમાણે એકલા રહેવાની સિસ્ટમ સમાજમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે એ જોતા હવે રૂબરૂ મુલાકાત નું વર્ચસ્વ સાવ મૃતઃ પ્રાય અવસ્થામાં ચાલ્યું ગયું છે એવું કહીશ તો પણ ચાલશે. એક સમય હતો જ્યારે બેસતું વર્ષ આવે એટલે આપણા સગા સંબંધીઓ અને અંગત મિત્રો આપણા ઘરે આવતા ! આજે શું હાલત છે ?? ફોન પર સાલ મુબારક કહેવાય જાય છે, બહુ બહુ તો ફેસબુક અને વોટ્સએપ પર હેપ્પી ન્યુ યર વાળા સ્ટીકર મોકલી દેવાય છે. પરિણામે જે હૂંફાળો ટચ મળતો હતો એ હવે મળતો નથી !

આત્મહત્યા કોઈ પણ વ્યક્તિ કરે છે એનું મૂળ કારણ છે એ વ્યક્તિની એકલતા. કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી એકલો રહેતો કે રહેતી હોઈ તો એના આત્મહત્યા કરવાના ચાન્સ સામાન્ય વ્યક્તિ કરતાં ખૂબ વધુ છે. એટલે સૌ પ્રથમ તો આપણે આપણા મિત્રોની માનસિક સ્થિતિ તપાસવી પડશે. જો કોઈ ખૂબ ઉદાસ કે માનસિક રીતે સ્વસ્થ ન લાગે તો એને મનોચિકત્સકની સારવાર કરાવવા માટે પણ મનાવવા પડશે ! આપણા સમાજમાં એક એવી ખોટી માન્યતા છે કે મનોચિકત્સકની સારવાર લેશું એટલે લોકો આપણે "ગાંડા" ગણશે ! અરે ભાઈ લોકોને જે કહેવું હોઈ એ કહે, તમે તમારું જૂઓને લોકો તો કહેવા માટે જ બન્યા છે, એ તો તમે કશું કરશો તો પણ કહેશે, અને કશું નહિ કરો તો પણ કહેવાના જ. એટલે તમે લોકોની ચિંતા છોડો અને તમારી ચિંતા કરો. જો સમયસર સારવાર કરવામાં આવે તો માણસના આત્મહત્યાના વિચારો થી એને દૂર કરી શકાય છે. તો આ હતું મારું મંતવ્ય !!

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...